કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (COVID-19 કે કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે.
આ રોગ સાર્સ વાયરસ સાથે નિકટતા ધરાવે છે. સાર્સ કોરોનાવાયરસને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો. આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસ રોગચાળો ફાટી નીકળવાનું કારણ છે. આ વાયરસથી અસરગ્રસ્ત લોકોમાં કોઈ વિશિષ્ટ લક્ષણો દેખાતા નથી અથવા તો તાવ, સૂકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે. રોગના પરિણામે નબળા અને અન્ય માંદગીથી પીડાતા લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે. કોવિડ-૧૯ મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે. નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાકમાંથી નીકળતા પ્રવાહી (લીંટ) અથવા ગળફામાંથી તપાસ કરવામાં આવે છે, જે અમુક કલાકોથી માંડી ૨ દિવસ સુધીમાં પરિણામ આપે છે.
હાથ ધોવા, ઉધરસ હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ આ રોગને રોકવા માટેના ઉપાય છે.